ઘનશ્યામસિંહજીનું ૧૯૪ર માં અવસાન થતાં તેમના પુત્ર મયૂરધ્વજસિંહજી ઉર્ફે મેઘરાજજી ત્રીજા ગાદીએ આવ્યા. તેમણે પ્રારંભિક શિક્ષણ ધ્રાંગધ્રામાં અને પછીથી ઈંગ્લેંડમાં લીધું હતું. પિતાના અવસાન સમયે તેઓ ૧૯ વર્ષના હતા. તેથી તેમની સગીરાવસ્થા દરમ્યાન તેમને વડોદરાના દીવાન સર વી.ટી. કૃષ્ણામાચારી પાસે વહીવટી અનુભવ લેવા એક વર્ષ માટે મોકલવામાં આવ્યા હતા. ર૧ વર્ષના થતા તેમણે સંપૂર્ણ સત્તા સંભાળી હતી. તેમના રાજયકાળમાં વહીવટતંત્રને આધુનિક બનાવાયું હતું, તથા ન્યાયતંત્રને કારોબારી તંત્રથી સ્વતંત્ર કરવામાં આવ્યું હતું.
તેમના શાસન દરમ્યાન બીજા વિશ્વયુધ્ધ પછી યુધ્ધોત્તર ત્રણ મુખ્ય યોજનાઓ રજૂ કરવામાં આવી હતી :
૧. ધ્રાંગધ્રાની સૌથી મોટી નદી બાંભણ ઉપર બંધ બાંધી હરપાલ નગર સિંચાઈ યોજના અમલમાં મૂકવી,
ર. ધ્રાંગધ્રામાં કાપડ મિલની સ્થાપના, અને ૩. ગુજરાત અને સિંધ વચ્ચે બ્રોડગેજ રેલવે લાઈન બાંધવા માટે સર્વેક્ષણ. આ ત્રીજી બાબત અમલમાં મૂકી શકાઈ નહિ કારણ કે ૧૯૪૭ માં તો ભારતનું વિભાજન થતાં સિંધ પાકિસ્તાનમાં ગયું હતું. સુસવાવ ગામમાં ગ્રામ્ય તાલીમ કોલેજ સ્થાપવામાં આવી હતી. તેના ધ્વારા ગ્રામ્ય પ્રજાને તાલીમ આપી ગ્રામોધ્ધાર કરવાનો હેતુ હતો, તો રાજપુર ગામ સહકારી ખેતીના પ્રયોગ માટે પસંદ કરવામાં આવ્યું હતું. સ્વચ્છ ગ્રામ અભિયાન, શિશુકલ્યાણ અને દૂધકેન્દ્રો તથા કન્યાકેળવણીને પ્રોત્સાહન આપતી યોજનાઓ અમલમાં મુકાઈ હતી. રાજયે શહેર પંચાયત અને ગ્રામ પંચાયતનો કાયદો પસાર કર્યો હતો. તેના ધ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓનો વિકાસ કરી તેને વધુ હકકો આપી સ્વશાસનની પૂર્વભૂમિકા ઉભી કરવાનો પ્રયાસ કરાયો હતો. ધારાસભાની સ્થાપના પૂર્વે તેની પૂર્વભૂમિકારૂપ સ્ટેટ કાઉન્િસલની રચના કરવામાં આવી હતી. રાજયમાં પ્રાથમિક શિક્ષણ મફત તો હતું જ, પરંતુ ૧૯૪૬ માં તે ફરજિયાત કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાળલગ્ન ઉપર પ્રતિબંધ મૂકવાનો, વિધવા લગ્નની છૂટનો તથા સ્ત્રીને મિલકતનો હકક આપતો કાયદો, છૂટાછેડાનો કાયદો વગેરે રાજયે પસાર કરી સામાજિક સુધારાના ક્ષેત્રે મહત્વનાં પગલાં લીધાં હતા. ૧૯૪૭ માં ભારત આઝાદ થતાં ધ્રાંગધ્રા રાજયે પણ ભારત સંઘ સાથે જોડાવાના કરાર કર્યા હતા. પછીથી તે સૌરાષ્ટ્રના નવા રચાયેલાં રાજયમાં જોડાઈ ગયું હતું. આ નવા રાજયના મયૂરધ્વજસિંહજીને ઉપ-રાજપ્રમુખ નીમવામાં આવ્યા હતા. ધ્રાંગધ્રા ના રાજવીને વાર્ષિક ૩.૮૦ લાખ રૂ. નું સાલિયાણું મંજૂર કરાયું હતું. પછીથી શ્રીમતી ઈંદિરા ગાંધીના સમયમાં ર૮-૧ર-૧૯૭૧ થી રાજવીઓનાં સાલીયાણાં નાબૂદ કરતો કાયદો પસાર કરાયો હતો.
|